કોરોના ના 2 વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં આગામી નવરાત્રી દરમિયાન શેરી ગરબાના આયોજનની સરકારે મંજૂરી આપી છે. આ માટેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.
ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે.
ગૃહવિભાગે કરેલ જાહેરાત પ્રમાણે, કલબ કે પાર્ટીપ્લોટમાં ગરબા યોજી શકાશે નહીં. તો આ સાથે જ નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂના પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન વધુ નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે કોરોના નિયમો સાથે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી નાખ્યું છે.
રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન કેન્સલ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર હોય છે તો સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં આ વર્ષે ગરબા નહીં થાય.
આ મામલે આયોજકોએ જણાવ્યું છે કે, માસ્ક સાથે ગરબા થઇ શકે નહિ. અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન ઘણું ખર્ચાળ છે. ત્યારે હાલના સમય પ્રમાણે દેશમાં કોરોના ની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે કોઈ પણ રિસ્ક લેવા માંગતા નથી.