પાલક લીલી શાકભાજી હોવાના કારણે તે પોષક તત્વો થી ભરપુર છે. પાલક એવી પાંદડાવાળી શાકભાજી છે જેને મોટા વડીલો થી લઈને બાળકોને ખુબ જ ફાયદા મળે છે. પાલક એમરેન્થસી કુળની વનસ્પતિ છે. લીલા પાંદડાવાળા શાકભાજી માં પાલક સૌથી અગ્રણી ગણાય છે.
પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ ગણવામાં આવે છે. પાલક માંથી ઘણી અલગ અલગ પ્રકારની વાનગી પણ બનાવી શકાય છે. તે સર્વ ગુણી અને સસ્તુ શાક છે. પાલકમાં કેલ્શિયમ સોડિયમ કલોરીન, ફોસ્ફરસ, આયરન, ખનિજ તત્વ, પ્રોટીન તેમજ ઘણા વિટામીન રહેલા હોય છે, જે શરીર માટે ખુબ જ સારું ગણાય છે.
પાલકમાં આયર્નની માત્રા વધારે હોય છે, જેના કારણે તેને આયર્નથી ભરપુર પાલક માનવામાં આવે છે. પાલકમાં રહેલું આયર્ન શરીરમાં સરળતાથી ગ્રાહ્ય થાય છે. તેથી પાલક ખાવાથી હીમોગ્લોબીનમાં વધારો થાય છે. પાલકમાં હિમોગ્લોબીન વધારનારું તત્વ હોવાથી ત્વચાના આરોગ્ય માટે પણ ઉત્તમ આહાર છે.
પાંડુ રોગથી પીડાતા દર્દીઓ માટે પાલક ઉત્તમ છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલક ખુબ જ ઉત્તમ છે. ગર્ભવતી મહિલા માટે જરૂરી પોષક તત્વો ફોલિક એસિડ પાલક માંથી ઘણા પ્રમાણમાં મળી રહે છે. પાલકમાં રહેલું કેલ્શિયમ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ઘણું મદદ કરે છે.
સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પાલક ઉત્તમ આહાર ગણાય છે. મહિલાઓના વાળ માટે પણ પાલક શ્રેષ્ઠ છે. મહિલાઓ વાળની ખુબ જ સંભાળ રાખતી હોય છે. પાલકમાં રહેલા પ્રોટીન ઉપરાંત અન્ય પોષક તત્વો વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે, જેથી વાળ મજબૂત બને છે .
પાલકની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે અને ચહેરો સુંદર બને છે. દરરોજ પાલક ખાવાથી ચહેરા ઉપર થતા ખીલની સમસ્યા પણ મટે છે. ત્વચાનું મોઈશ્ચર જળવાઈ રહે છે. પાલક અને ગાજરના રસમાં લીંબુનો રસ નાખીને પીવાથી ત્વચા નિરોગી, સ્વચ્છ અને ચમકદાર રહે છે.
પાલક અને લીંબુના રસનાં બે-ત્રણ ટીપા મિક્સ કરીને તેને રાત્રે સૂતી વખતે ત્વચા પર લગાવવાથી ત્વચાની ચમક નિખરે છે. ત્વચા પર પડેલા કાળા ડાઘા પણ પાલકના રસથી દૂર થાય છે. પાલકના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી ચહેરો ધોવાથી પણ ચહેરો ચોખ્ખો થાય છે.
પાલક કોલેજનના નિર્માણમાં સહાયક હોવાથી વાળ અને ચામડી માટે ઉત્તમ ઔષધ ગણાય છે. આર્થ્રાઇટીસ અને ઓસ્ટીયોપોરોસિસ ની બીમારી થી પીડાતા દર્દી માટે પણ પાલક રાહત આપે છે. દરરોજ પાલક ખાવાથી સાંધાના દુખાવા માંથી મુક્તિ મળે છે. પાલક સાથે ટામેટા, કાકડી, ગાજર જેવા શાકભાજી નો પણ ઉપયોગ કરવો જોઈએ.
પાલકમાં રહેલું વિટામિન કે કેલ્શિયમનું અવશોષણ અટકાવે છે. પેશાબમાં નીકળી જતા કેલ્શિયમની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પાલક હાડકાને પણ મજબૂત બનાવે છે. પાલકમાંથી પ્રાપ્ત થતું પોષક તત્વ કોલેસ્ટ્રોલ અને ચરબીને પણ નિયંત્રિત કરી હ્રદયરોગથી શરીરને બચાવવાની પણ મદદ છે.
પાલકમાંથી મળતું પોટેશિયમ મગજ માટે સારું ગણાય છે. અલ્ઝાઇમર જેવી બીમારીમાં પણ પાલક ઘણું રાહત આપે છે. પાલકમાં રહેલું પોટેશિયમ મગજને પૂરતી માત્રામાં લોહી તથા ઓક્સિજન પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, એટલા માટે પ્રેશરના દર્દીઓને પણ પાલક નો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પરંતુ પાલકનો વધુ પડતો ઉપયોગ પણ એસીડીટી,પેટની સમસ્યા પથરી જેવી તકલીફ ઉભી કરી શકે છે.